YouVersion Logo
Search Icon

રોમનોને પત્ર 10

10
1ભાઈઓ, [ઇઝરાયલ તારણ પામે] એવી મારા અંત:કરણની ઇચ્છા તથા ઇશ્વર પ્રત્યે મારી પ્રાર્થના છે. 2કેમ કે હું તેઓ વિષે સાક્ષી પૂરું છું કે, ઈશ્વર ઉપર તેઓની આસ્થા છે ખરી, પણ તે‍ વગરની છે. 3કેમ કે ઈશ્વરના ન્યાયીપણાના વિષે આજ્ઞાન હોવાથી અને પોતાના [ન્યાયીપણા] ને સ્થાપન કરવાને યત્ન કરીને, તેઓ ઈશ્વરના ન્યાયીપણાને આધીન થયા નહિ. 4કેમ કે ખ્રિસ્ત તો દરેક વિશ્વાસ રાખનારને માટે ન્યાયીપણું પ્રાપ્ત કરવાને અર્થે નિયમની સંપૂર્ણતા છે.
સર્વ માટે ખુલ્લો ઉદ્ધારનો માર્ગ
5કેમ કે #લે. ૧૮:૫. મૂસા લખે છે, “જે માણસ નિયમશાસ્‍ત્ર પ્રમાણેના ન્યાયીપણાનાં કામ કરે છે, તે તે વડે જીવશે.” 6પણ જે ન્યાયીપણું વિશ્વાસથી છે તે કહે છે, #પુન. ૩૦:૧૨-૧૪. “તું તારા અંત:કરણમાં ન કહે કે, આકાશમાં કોણ ચઢશે? (એટલે ખ્રિસ્તને નીચે લાવવાને;) 7અથવા એ કે, ઊંડાણમાં કોણ ઊતરશે? (એટલે ખ્રિસ્તને મૂએલામાંથી ઉપર લાવવાને)” 8પણ તે શું કહે છે? [તે એમ કહે છે,] “એ વચન તારી પાસે, તારા મોંમાં તથા તારા અંત:કરણમાં છે.” એટલે વિશ્વાસનું જે વચન અમે પ્રગટ કરીએ છીએ તે એ છે કે 9જો તું તારે મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ, અને ઈશ્વરે તેમને મૂએલાંમાંથી પાછા ઉઠાડયા, એવો વિશ્વાસ તારા અંત:કરણમાં રાખીશ, તો તું તારણ પામીશ 10કારણ કે ન્યાયીપણાને અર્થે અંત:કરણથી વિશ્વાસ રાખવામાં આવે છે, ને તારણને અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે. 11કેમ કે ધર્મશાસ્‍ત્ર કહે છે, #યશા. ૨૮:૧૬. “એના ઉપર જે કોઈ વિશ્વાસ કરશે તે શરમાશે નહિ.” 12યહૂદી તથા ગ્રીકમાં કંઈ ભિન્‍નતા નથી, કેમ કે સર્વનો પ્રભુ એક જ છે, અને જેઓ તેમને વિનંતી કરે છે તેઓ સર્વને માટે તેમની સંપત્તિ છે. 13કેમ કે #યોએ. ૨:૩૨. જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે.
14પણ જેમના ઉપર તેઓએ વિશ્વાસ કર્યો નથી, તેમને તેઓ કેમ વિનંતી કરશે? વળી જેમને વિષે તેઓએ સાંભળ્યું નથી, તેમના ઉપર તેઓ કેમ વિશ્વાસ કરશે? વળી ઉપદેશક વગર તેઓ કેમ સાંભળશે? 15વળી તેઓને મોકલ્યા વગર તેઓ કેમ કરીને ઉપદેશ કરશે? લખેલું છે, #યશા. ૫૨:૭. “વધામણીની સુવાર્તા સંભળાવનારાનાં પગલાં કેવાં સુંદર છે!”
16પણ બધાંએ તે સુવાર્તા માની નહિ, કેમ કે યશાયા કહે છે, #યશા. ૫૩:૧. “હે પ્રભુ, અમારા સંદેશા પર કોણે વિશ્વાસ કર્યો છે? 17એ પ્રમાણે [સંદેશો] સાંભળવાથી વિશ્વાસ [થાય છે] , તથા ખ્રિસ્તના વચનદ્વારા [સંદેશો] સાંભળવામાં આવે છે.
18પણ હું પૂછું છું કે શું તેઓએ સાંભળ્યું નથી? હા, ખરેખર,
# ગી.શા. ૧૯:૪. ‘આખી પૃથ્વી પર તેઓનો અવાજ
તથા જગતના છેડાઓ સુધી
તેઓનાં વચનો ફેલાયાં છે.’
19વળી, હું પૂછું છું કે શું ઇઝરાયલી લોકો જાણતા ન હતા? પ્રથમ મૂસા કહે છે,
# પુન. ૩૨:૨૧. “જેઓ પ્રજા નથી એવા લોકો ઉપર
હું તમારામાં ઈર્ષા ઉત્પન્‍ન કરીશ.
અણસમજુ પ્રજા ઉપર હું તમારામાં
ક્રોધ ઉત્પન્‍ન કરીશ.”
20વળી યશાયા બહુ હિંમત રાખીને કહે છે,
# યશા. ૬૫:૧. “જેઓ મને શોધતા નહોતા,
તેઓને હું મળ્યો;
જેઓ મારી ખોળ કરતા નહોતા
તેઓની આગળ હું પ્રગટ થયો.” 21પણ ઇઝરાયલ વિષે તો તે કહે છે, #યશા. ૬૫:૨. “આખો દિવસ ન માનનારા તથા વિરુદ્ધ બોલનારા લોકો તરફ મેં હાથ લાંબા કર્યા.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in