YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં કૃત્યો 23

23
1ત્યારે પાઉલે ન્યાયસભાની સામે એકીનજરે જોઈ રહીને કહ્યું, “ભાઈઓ, હું આજ દિન સુધી ઈશ્વરની સમક્ષ શુદ્ધ અંત:કરણથી વર્ત્યો છું.” 2ત્યારે અનાન્યા પ્રમુખ યાજકે તેની પાસે ઊભા રહેનારાઓને તેના મોં ઉપર તમાચો મારવાની આજ્ઞા કરી. 3ત્યારે પાઉલે તેને કહ્યું, #માથ. ૨૩:૨૭-૨૮. “અરે ધોળેલી ભીંત, ઈશ્વર તને મારશે. તું નિયમશાસ્‍ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા બેઠેલો છે, છતાં શું નિયમશાસ્‍ત્ર વિરુદ્ધ મને મારવાની આજ્ઞા કરે છે?” 4ત્યારે પાસે ઊભા રહેનારાઓએ કહ્યું, “શું તું ઈશ્વરના પ્રમુખ યાજકની નિંદા કરે છે?” 5ત્યારે પાઉલે કહ્યું, “ભાઈઓ, એ પ્રમુખ યાજક છે તે હું જાણતો નહોતો, કેમ કે લખેલું છે કે, #નિ. ૨૨:૨૮. ‘તારા લોકોના અધિકારીનું તારે ભૂંડું બોલવું નહિ.”
6પછી પાઉલે જોયું કે એક ભાગ સાદૂકીઓનો, અને બીજો ફરોશીઓનો છે, ત્યારે તેણે સભામાં પોકારીને કહ્યું, “ભાઈઓ, #પ્રે.કૃ. ૨૬:૫; ફિલિ. ૩:૫. હું ફરોશી છું, મારા પૂર્વજો ફરોશી હતા. અને [ઇઝરાયલની] આશા તથા મૂએલાંઓના પુનરુત્થાન સંબંધી મારો ન્યાય કરવામાં આવે છે.”
7તેણે એમ કહ્યું, ત્યારે ફરોશીઓ તથા #માથ. ૨૨:૨૩; માર્ક ૧૨:૧૮; લૂ. ૨૦:૨૭. સાદૂકીઓની વચ્ચે તકરાર ઊભી થઈ. અને સભામાં પક્ષ પડ્યા. 8કેમ કે સાદૂકીઓ માને છે, “પુનરુત્થાન નથી, અને દૂત અથવા‍ આત્મા પણ નથી.” પણ ફરોશીઓ એ બન્‍ને વાત માન્ય કરે છે. 9ત્યારે મોટી હોહા થઈ રહી. અને ફરોશીઓના પક્ષના કેટલાક શાસ્‍ત્રીઓ ઊઠ્યા, ને રકઝક કરીને કહેવા લાગ્યા, “અમને આ માણસમાં કંઈ અપરાધ માલૂમ પડતો નથી. અને કદાચને આત્માએ અથવા દૂતે તેને કંઈ કહ્યું હોય તો તેથી શું?”
10તકરાર વધી પડી, ત્યારે તેઓ પાઉલના કકડેકકડા કરશે, એવો ભય લાગવાથી સરદારે સિપાઈઓને આજ્ઞા કરી, “જઈને જબરદસ્તીથી તેને તેઓ મધ્યેથી ખેંચી લાવી કિલ્લામાં લઈ આવો.”
11તે જ રાત્રે પ્રભુએ તેની પાસે ઊભા રહીને કહ્યું, “હિંમત રાખ, કેમ કે જેમ મારે વિષે તેં યરુશાલેમમાં સાક્ષી આપી છે, તેમ તારે રોમમાં પણ સાક્ષી આપવી પડશે.”
પાઉલને મારી નાખવાનું કાવતરું
12દિવસ ઊગ્યા પછી યહૂદીઓએ સંપ કર્યો, અને સમ ખાઈને પ્રતિજ્ઞા લીધી, “પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી આપણે અન્‍નજળ લેવું નહિ.” 13આ સંપ કરનારા ચાળીસથી વધારે હતા. 14તેઓએ મુખ્ય યાજકો તથા વડીલોની પાસે જઈને કહ્યું, “અમે આકરા સોગનથી બંધાયા છીએ, કે પાઉલને મારી નાખીએ નહિ ત્ચાં સુધી અમારે કંઈ પણ જીભ પર મૂકવું નહિ. 15માટે સભા સહિત તમે સરદારને ખબર આપો કે, તેની બાબતમાં તમારે જાણે વધારે બારીકીથી તપાસ કરવી છે, માટે તે તેને તમારી આગળ રજૂ કરે. અને તે ત્યાં પહોંચે ત્યાર પહેલાં અમે તેને મારી નાખવાને તૈયાર છીએ.” 16પણ પાઉલના ભાણેજને તેઓના સંતાઈ રહેવા વિષે ખબર પડી, ત્યારે તેણે કિલ્લામાં જઈને પાઉલને ખબર આપી. 17ત્યારે પાઉલે સૂબેદારોમાંના એકને બોલાવીને કહ્યું, “આ જુવાનને સરદારની પાસે લઈ જા; કેમ કે એ તેમને કંઈ કહેવા માગે છે.” 18ત્યારે તેણે સરદારની પાસે તેને તેડી જઈને કહ્યું, “પાઉલ બંદીવાને મને પોતાની પાસે બોલાવીને વિનંતી કરી કે, આ જુવાનને સરદારની પાસે લઈ જા, કેમ કે એ તેમને કંઈ કહેવા માગે છે.”
19ત્યારે સરદાર તેનો હાથ પકડીને તેને એકાંતમાં લઈ ગયો, અને તેને ખાનગી રીતે પૂછ્યું, “તારે મને શું કહેવાનું છે?”
20તેણે કહ્યું, “યહૂદીઓએ તમને વિનંતી કરવાનો ઠરાવ કર્યો છે કે, જાણે પાઉલ સંબંધી વધારે બારીકીથી તપાસ કરવા તેઓ માગતા હોય એ હેતુથી તમે આવતી કાલે તેને ન્યાયસભામાં લઈ આવો. 21માટે તમે તેઓનું કહેવું માનશો નહિ; કેમ કે તેઓમાંના ચાળીસથી વધારે માણસ તેને માટે સંતાઈ રહ્યા છે. અને તેઓ એવી પ્રતિજ્ઞાથી બંધાયા છે કે, ‘અમે તેને મારી નાખીએ નહિ ત્યાં સુધી અન્‍નજળ લઈશું નહિ, ’ હમણાં તેઓ તૈયાર છે, અને તમારા વચનની રાહ જુએ છે.”
22ત્યારે સરદારે તે જુવાનને તાકીદ આપીને વિદાય કર્યો, “તેં આ વાતની મને ખબર આપી છે, એ વિષે કોઈને કહીશ નહિ.”
હાકેમ ફેલિકસની સમક્ષ
23પછી તેણે બે સૂબેદારને પોતાની પાસે બોલાવીને કહ્યું, “બસો સિપાઈઓને, સિત્તેર સવારોને તથા બસો બરછીવાળાઓને, રાતના નવ વાગે કાઈસારિયા સુધી જવાને તૈયાર રાખો; 24અને પાઉલને માટે જાનવર તૈયાર રાખો કે, તેને તે પર બેસાડીને હાકેમ ફેલિકસ પાસે સહીસલામત પહોંચાડવામાં આવે.” 25તેણે નીચે પ્રમાણે પત્ર લ્ખ્યો:
26“નેકનામદાર ફેલિકસ
હાકેમને કલોડિયસ લુકિયસની સલામ. 27યહૂદીઓએ આ માણસને પકડ્યો હતો, અને તેઓ તેને મારી નાખવાના હતા, ત્યારે એ રોમન છે એમ સાંભળીને હું સિપાઈઓને સાથે લઈને ત્યાં ગયો, અને તેને છોડાવી લાવ્યો. 28તેઓ એના પર શા કારણથી દોષ મૂકે છે, એ જાણવા માટે હું તેઓની ન્યાયસભામાં એને લઈ ગયો. 29ત્યારે મને માલૂમ પડ્યું કે તેઓના નિયમશાસ્‍ત્રની બાબતો સંબંધી તેઓ એના પર દોષ મૂકે છે, પણ મોતની અથવા કેદની સજા થાય એવો દોષ તેના પર મૂકતા નથી. 30જ્યારે મને ખબર મળી કે એ માણસની વિરુદ્ધ કાવતરું થવાનું છે, તે જ સમયે મેં એને તરત આપની પાસે મોકલ્યો, અને એની વિરુદ્ધ [જે કંઈ કહેવું હોય તે] તેઓ આપની આગળ કહે એવી મેં ફરિયાદીઓને પણ આજ્ઞા કરી.”
31ત્યારે તેમને મળેલી આજ્ઞા પ્રમાણે સિપાઈઓ પાઉલને સાથે લઈને રાતોરાત આંતિપાત્રસ આવ્યા. 32પણ બીજે દિવસે સવારોને તેની સાથે જવા માટે રહેવા દઈને તેઓ પોતે કિલ્લામાં પાછા આવ્યા. 33કાઈસારિયા પહોંચ્યા પછી તેઓએ હાકેમને પત્ર આપ્યો, અને પાઉલને પણ તેની આગળ રજૂ કર્યો. 34તેણે તે વાંચીને એ કયા પ્રાંતનો છે એમ પૂછ્યું. તે કિલીકિયાનો છે એવું જયારે તેને માલૂમ પડ્યું, 35ત્યારે તેણે કહ્યું, “ફરિયાદીઓ આવ્યા પછી હું તારા મુકદમાની તપાસ કરીશ.” પછી તેણે તેને હેરોદના દરબારમાં પહેરામાં રાખવાની આજ્ઞા કરી.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for પ્રેરિતોનાં કૃત્યો 23