પિતરનો બીજો પત્ર 2
2
જૂઠા શિક્ષકો
1[ઇઝરાયલી] લોકોમાં ખોટા પ્રબોધકો પણ ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ નાશકારક પાંખડી મતો ગુપ્ત રીતે ફેલાવશે, અને જે પ્રભુએ તેઓનો ઉદ્વાર કર્યો તેમનો પણ નકાર કરીને પોતાને માથે ઉતાવળે નાશ વહોરી લેશે. 2તેઓના ભ્રષ્ટાચાર પ્રમાણે ઘણા માણસો ચાલશે, અને તેઓને લીધે સત્યના માર્ગની નિંદા થશે. 3તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમને વેચવાના માલ જેવા કરશે. તેઓને માટે આગળથી ઠરાવેલી સજા વિલંબ કરતી નથી, અને તેઓનો નાશ ઢીલ કરતો નથી.
4કેમ કે જે દૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડયા નહિ, પણ તેઓને નરકમાં નાખીને ન્યાયકરણ થતાં સુધી અંધકારના ખાડાઓમાં રાખ્યા. 5#ઉત. ૬:૧—૭:૨૪. તેમ જ [ઈશ્વરે] પુરાતન જગતને પણ છોડયું નહિ, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેનાં સાત માણસોને બચાવ્યાં. 6અને થનાર અધર્મીઓને ઉદાહરણ આપવા માટે #ઉત. ૧૯:૨૪. સદોમ તથા ગમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યાં, અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી. 7અને #ઉત. ૧૯:૧-૧૬. ન્યાયી લોત જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો તેને છોડાવ્યો, 8(કેમ કે તે ન્યાયી માણસ તેઓની સાથે રહેતો હતો ત્યારે તેઓનાં દુષ્ટ કૃત્યો જોઈને તથા સાંભળીને તે પોતાના ન્યાયી આત્મામાં નિત્ય ખિન્ન થતો હતો). 9પ્રભુ તે ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, અને અન્યાયીઓને તથા વિશેષે કરીને જેઓ દુર્વાસનાઓથી 10દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે, ને [પ્રભુના] અધિકારને તુચ્છ ગણે છે તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે.
તેઓ ઉધ્ધત તથા સ્વચ્છંદી થઈને અધિકારીઓની નિંદા કરતાં ડરતા નથી. 11તોપણ દૂતો વિશેષ બળવાન તથા શક્તિમાન હોવા છતાં પ્રભુની આગળ તેઓની નિંદા કરીને તેઓ પર દોષ મૂકતા નથી. 12પણ તેઓ સ્વભાવે મૂર્ખ પશુ કે, જેઓ પકડવા તથા નાશ પામવા માટે સર્જાયેલાં છે, તેઓની જેમ જે વિષે તેઓ પોતે કંઈ જાણતા નથી, તે વિષે નિંદા કરીને પોતાની ભ્રષ્ટતામાં નાશ પામશે, અને અન્યાય કર્યાને લીધે અન્યાયનું ફળ ભોગવશે. 13તેઓ ધોળે દિવસે ભોગવિલાસમાં આનંદ કરે છે. તેઓ ડાઘ તથા કલંક છે. તેઓ પ્રેમભોજનોમાં મોજશોખ કરીને તમારી સાથે ભોજન કરે છે. 14તેઓની આંખો વ્યભિચારથી ભરેલી છે, અને પાપ કરતાં બંધ નથી પડતી. તેઓ અસ્થિર માણસોને લલચાવે છે. તેઓનાં અંત:કરણો દ્રવ્યલોભમાં કેળવાયેલાં છે; તેઓ શાપનાં છોકરાં છે. 15ખરો માર્ગ મૂકીને તેઓ અવળે માર્ગે ગયા છે, અને બેઓરનો [દીકરો] #ગણ. ૨૨:૪-૩૫. બલામ, જે અન્યાયનાં ફળ પર મોહ પામ્યો તેને માર્ગે ચાલનારા થયા. 16પણ તેને પોતાના અધર્મને લીધે ઠપકો આપવામાં આવ્યો. મૂંગા ગધેડાએ માણસની વાણીથી પ્રબોધકની ઘેલછાને અટકાવી.
17તેઓ પાણી વગરના ઝરા જેવા તથા તોફાનથી ઘસડાતી ધૂમર જેવા છે, તેઓને માટે ઘોર અંધકાર રાખી મૂકેલો છે. 18કેમ કે તેઓ ભ્રમણામાં પડયાં છે તેઓમાંથી જેઓ મુક્ત થવાની તૈયારીમાં છે તેઓને તેઓ ખાલી બડાઈની વાતો કહીને દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી મોહ પમાડે છે. 19તેઓને તેઓ સ્વતંત્રતા [મળવા] નું વચન આપે છે, પણ પોતે પાપના દાસ છે. કેમ કે માણસને જે કંઈ જીતે છે, તે જ તેને પોતાનો દાસ કરી લે છે. 20કેમ કે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તને ઓળખીને જો તેઓ, જગતની મલિનતાથી છૂટીને, પાછા તેમાં ફસાઈને હારી ગયા, તો તેઓની છેલ્લી દશા પહેલીના કરતાં બૂરી છે. 21કારણ કે એક વાર ન્યાયીપણાનો માર્ગ જાણ્યા પછી તેઓને જે પવિત્ર આજ્ઞા આપવામાં આવી તેથી પાછા ફરવું, એ કરતાં તેઓ તે [માર્ગ] વિષે અજાણ્યા રહ્યા હોત તો સારું હોત. 22પણ #નીતિ. ૨૬:૧૧. “કૂતરું પોતાની ઓક તરફ, અને ધોયેલી ભૂંડણ કાદવમાં આળોટવા માટે પાછાં જાય છે, ” આ કહેવત તો ખરી છે, અને તે પ્રમાણે તેઓનું [વર્તન] થયું છે.
Currently Selected:
પિતરનો બીજો પત્ર 2: GUJOVBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.