YouVersion Logo
Search Icon

યોહાનનો પહેલો પત્ર 3

3
ઈશ્વરનાં છોકરાં
1જુઓ, પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો છે કે આપણે #યોહ. ૧:૧૨. ઈશ્વરનાં છોકરાં કહેવાઈએ! અને ખરેખર આપણે તેમનાં છોકરાં છીએ. તેથી જગત આપણને ઓળખતું નથી, કેમ કે તેણે તેમને ઓળખ્યા નહિ. 2વહાલાંઓ, હાલ આપણે ઈશ્વરનાં છોકરાં છીએ, અને આપણે કેવાં થઈશું, તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે એટલું તો જાણીએ છીએ કે જયારે તે પ્રગટ થશે, ત્યારે તેમના જેવાં આપણે થઈશું. કેમ કે જેવા તે છે તેવા આપણે તેમને જોઈશું. 3અને જે તેમના પર એવી આશા રાખે છે, તે દરેક જેમ તે શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે છે.
4જે પાપ કરે છે, તે દરેક નિયમભંગ પણ કરે છે, અને પાપ એ જ નિયમભંગ છે. 5તે #યોહ. ૧:૨૯. પાપનું હરણ કરવાને પ્રગટ થયા, એ તમે જાણો છો. અને તેમનામાં પાપ નથી. 6જે કોઈ તેમનામાં રહે છે, તે પાપ કરતો નથી. જે કોઈ પાપ કરે છે તેણે તેમને જોયા નથી, અને તેમને ઓળખતો પણ નથી.
7બાળકો, કોઈ તમને ન ભમાવે. જેમ તે ન્યાયી છે, તેમ જે ન્યાયીપણું કરે છે તે પણ ન્યાયી છે; 8જે પાપ કરે છે તે શેતાનનો છે, કેમ કે શેતાન આરંભથી પાપ કરે છે. શેતાનનાં કામનો નાશ કરવા માટે ઈશ્વરના પુત્ર પ્રગટ થયા.
9જે કોઈ ઈશ્વરથી જન્મેલો છે તે પાપ કરતો નથી, કેમ કે તેમનું બીજ તેનામાં રહે છે; અને તે પાપ કરી શકતો નથી, કેમ કે તે ઈશ્વરથી જન્મેલો છે. 10આથી ઈશ્વરનાં છોકરાં તથા શેતાનનાં છોકરાં ઓળખાઈ આવે છે: જે કોઈ ન્યાયીપણું કરતો નથી, અને જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખતો નથી, તે ઈશ્વરનો નથી.
એકબીજા પર પ્રેમ કરો
11કેમ કે જે સંદેશો તમે પ્રથમથી સાંભળ્યો છે તે એ જ છે કે, #યોહ. ૧૩:૩૪. આપણે એકબીજા પર પ્રેમ રાખીએ. 12જેવો #ઉત. ૪:૮. કાઈન દુષ્ટનો હતો, અને તેણે પોતાના ભાઈને મારી નાખ્યો, તેવા આપણે ન થવું. તેણે શા માટે તેને મારી નાખ્યો? એટલા માટે કે તેનાં પોતાનાં કામ ભૂંડાં હતાં, અને તેના ભાઈનાં [કામ] ન્યાયી હતાં.
13ભાઈઓ, જો જગત તમારા પર દ્વેષ કરે તો તેથી આશ્ચર્ય ન પામો. 14આપણે ભાઈઓ પર પ્રેમ રાખીએ છીએ, એથી આપણે જાણીએ છીએ કે #યોહ. ૫:૨૪. મરણમાંથી નીકળીને આપણે જીવનમાં આવ્યા છીએ. જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે. 15જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે મનુષ્યઘાતક છે. અને તમે જાણો છો કે કોઈ મનુષ્યઘાતકમાં અનંતજીવન રહેતું નથી. 16એથી આપણે પ્રેમ શું છે તે જાણીએ છીએ, કેમ કે તેમણે પોતાનો પ્રાણ આપણા બદલે આપ્યો. અને આપણે પણ ભાઈઓને માટે આપણા પ્રાણો આપવા જોઈએ. 17પણ જેની પાસે આ જગતનું દ્રવ્ય હોય, ને પોતાના ભાઈને ગરજ છે એવું જોયા છતાં તેના પર તે દયા ન કરે, તો તેનામાં ઈશ્વરનો પ્રેમ શી રીતે રહી શકે? 18બાળકો, આપણે શબ્દથી નહિ, અને જીભથી નહિ, પણ કૃત્યમાં તથા સત્યમાં પ્રેમ કરીએ.
ઈશ્વરની સમક્ષ હિંમત
19એથી આપણે જાણીશું કે આપણે સત્યના છીએ, અને જે કોઈ બાબતમાં આપણું અંત:કરણ આપણને દોષિત ઠરાવે છે, તે વિષે તેમની આગળ આપણા અંત:કરણને શાંત કરીશું. 20કેમ કે આપણા અંત:કરણ કરતાં ઈશ્વર મોટા છે, અને તે બધું જાણે છે. 21વહાલાંઓ, જો આપણું અંત:કરણ આપણને દોષિત ન ઠરાવે, તો ઈશ્વર પ્રત્યે આપણને હિંમત છે. 22અને જે કંઈ આપણે માગીએ છીએ, તે તેમની પાસેથી આપણને મળે છે, કેમ કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ છીએ, અને તેમની નજરમાં જે પસંદ પડે છે તે કરીએ છીએ. 23તેમની આજ્ઞાએ છે કે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તના નામ પર આપણે વિશ્વાસ રાખીએ, અને #યોહ. ૧૩:૩૪; ૧૫:૧૨,૧૭. જેમ તેમણે આપણને આજ્ઞા આપી છે, તેમ આપણે એકબીજા પર પ્રેમ રાખીએ. 24જે તેમની આજ્ઞાઓ પાળે છે, તે એમનામાં રહે છે, અને તેઓ તેનામાં. અને જે આત્મા એમણે આપણને આપ્યો છે તેનાથી આપણે જાણીએ છીએ કે તેઓ આપણામાં રહે છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in