ઝખાર્યા 1
1
પોતાના લોકોને પ્રભુ પોતાની તરફ ફરવા કહે છે
1દાર્યાવેશના બીજા વર્ષના આઠમા માસમાં, ઈદ્દોના દીકરા બેરેકિયાના દીકરા #એઝ. ૪:૨૪; ૫:૧; ૬:૧૪. ઝખાર્યા પ્રબોધકની પાસે યહોવાનું વચન આવ્યું: 2“હું યહોવા તમારા પૂર્વજો પર ઘણો નારાજ થયો હતો. 3હવે, સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, મારી તરફ પાછા આવો, ને હું તમારી તરફ પાછો આવીશ, એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે. 4તમારા પૂર્વજો કે જેઓને અગાઉના પ્રબોધકો બૂમ પાડીને કહેતા હતા કે, ‘સૈન્યોના [ઇશ્વર] યહોવા એમ કહે છે કે, તમે હવે તમારા કુમાર્ગોથી તથા તમારાં કુકર્મોથી ફરો, ’ પણ તેઓએ સાંભળ્યું નહિ, ને મારા તરફ લક્ષ પણ આપ્યું નહિ, તેઓના જેવા તમે ન થાઓ, એમ યહોવા કહે છે. 5તમારા પૂર્વજો ક્યાં છે? અને પ્રબોધકો શું સદા જીવે છે? 6પણ જે મારાં વચનો તથા મારા વિધિઓ મેં મારા સેવક પ્રબોધકોને ફરમાવ્યાં, તેઓએ શું તમારા પૂર્વજોને પકડી પાડયા નહિ? અને તેઓ ફર્યા, ને કહ્યું, યહોવાએ આપણને આપણા માર્ગો પ્રમાણે તથા આપણા કૃત્યો પ્રમાણે જેમ કરવા ધાર્યું, તેમ જ તેમણે આપણને કર્યું છે.’”
પ્રબોધકને ઘોડાઓ સંબંધી સંદર્શન
7દાર્યાવેશના બીજા વર્ષના અગિયારમા માસની, એટલે શબાટ માસની, ચોવીસમી તારીખે ઈદ્દોના દીકરા બેરેકિયાના દીકરા ઝખાર્યા પ્રબોધકની પાસે યહોવાનું વચન આવ્યું; 8મને રાત્રે સંદર્શન થયું, ને જુઓ, #પ્રક. ૬:૪. રાતા ઘોડા પર સવાર થયેલો એક પુરુષ ખીણમાંની મેંદીઓમાં ઊભો હતો. તેની પાછળ રાતા, કાબરા તથા #પ્રક. ૬:૨. ધોળા ઘોડા હતા. 9ત્યારે મેં કહ્યું, ‘હે મારા પ્રભુ, તેઓ શું છે?’ જે દૂત મારી સાથે વાત કરતો હતો તેણે મને કહ્યું, ‘તેઓ શું છે તે હું તને બતાવીશ.’ 10ત્યારે મેંદીઓમાં ઊભેલા માણસે ઉત્તર આપ્યો, ‘એમને તો યહોવાએ પૃથ્વી પર સર્વત્ર આમતેમ ફરવાને મોકલ્યા છે.’ 11યહોવાનો જે દૂત મેંદીઓમાં ઊભો હતો તેને તેઓએ ઉત્તર આપ્યો, ‘અમે પૃથ્વીમાં સર્વત્ર આમતેમ ફરી આવ્યા છીએ, અને જો, આખી પૃથ્વી સ્વસ્થ બેઠી છે, ને શાંતિમાં છે.’
12ત્યારે યહોવાના દૂતે ઉત્તર આપ્યો, “હે સૈન્યોના [ઇશ્વર] યહોવા, યરુશાલેમનાં તથા યહૂદિયાનાં નગરો કે, જેઓના ઉપર આ સિત્તેર વરસથી તમે કોપાયમાન રહ્યા છો, તેઓના પર તમે ક્યાં સુધી દયા નહિ કરો?” 13મારી સાથે વાત કરનાર દૂતને યહોવાએ સારાં દિલાસાનાં વચનોથી ઉત્તર આપ્યો. 14માટે મારી સાથે વાત કરનાર દૂતે મને કહ્યું, “તું એમ પોકાર કે, સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ‘યરુશાલેમ તથા સિયોણે માટે મને અતિશય લાગણી થાય છે. 15જે પ્રજાઓ આરામ ભોગવે છે તેમના પર હું અતિશય નારાજ થયો છું, કેમ કે હું માત્ર સહેજ નાખુશ હતો, પણ તેઓએ વિપત્તિમાં વૃદ્ધિ કરી.’ 16એ માટે યહોવા કહે છે કે, ‘હું કૃપાદાનો લઈને યરુશાલેમના પક્ષમાં પાછો આવ્યો છું.’ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ‘મારું મંદિર તેમાં બંધાશે, ને યરુશાલેમ ઉપર [માપવાની] દોરી લંબાવવામાં આવશે.’ 17હજી બીજી વાર પોકાર કે, સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ‘હજી પણ મારા નગરો આબાદ થઈને ચોતરફ વૃદ્ધિ પામશે, ને હજી પણ યહોવા સિયોનને દિલાસો આપશે, ને હજી પણ તે યરુશાલેમને પસંદ કરશે.’”
શિંગડા વિષે સંદર્શન
18પછી મેં મારી નજર ઊંચી કરીને જોયું, તો જુઓ, ચાર શિંગડા [દેખાયાં]. 19મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછયું, “એ શું છે?” તેણે મને ઉત્તર આપ્યો, “જે શિંગડાએ યહૂદિયા, ઈઝરાયલ તથા યરુશાલેમને વિખેરી નાખ્યા છે તેઓ એ છે.” 20પછી યહોવાએ મને ચાર લુહાર દેખાડયા. 21ત્યારે મેં પૂછયું, “તેઓ શું કરવા આવે છે?” તેમણે કહ્યું, “જે શિંગડાએ યહૂદિયા [ના લોકો] ને એવા વિખેરી નાખ્યા કે કોઈ પણ માણસ પોતાનું માથું ઊંચું કરવા પામ્યો નહિ, તેઓ એ છે. પણ તેઓ તેમને ભયભીત કરવાને, તથા જે પ્રજાઓએ પોતાનું શિંગડું યહૂદિયા દેશની સામે ઉઠાવીને તેને વિખેરી નાખ્યો તેઓનાં શિંગડા પાડી નાખવાને આવ્યા છે.”
Currently Selected:
ઝખાર્યા 1: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.