YouVersion Logo
Search Icon

યર્મિયા 29

29
બાબિલના બંદીવાસમાંના યહૂદિઓ પર યર્મિયાનો પત્ર
1યકોન્યા રાજા, રાજમાતા, ખોજાઓ, યહૂદિયાના અને યરુશાલેમના સરદારો, કારીગરો તથા લુહારો યરુશાલેમથી ગયા પછી, 2બંદીવાસમાં ગયેલાઓમાંના બાકી રહેલા વડીલો, ત્યાંના યાજકો, પ્રબોધકો તથા #૨ રા. ૨૪:૧૨-૧૬; ૨ કાળ. ૩૬:૧૦. જે લોકોને નબૂખાદનેસ્સાર યરુશાલેમમાંથી બાબિલના બંદીવાસમાં લઈ ગયો હતો, 3તે સર્વની પાસે યર્મિયા પ્રબોધકે, શાફાનનો પુત્ર એલાસા તથા જેને યહૂદિયાના રાજા સિદકિયાએ બાબિલમાં બાબિલના રાજા નબૂખાદનેસ્સારની પાસે મોકલ્યો હતો તે હિલ્કિયાનો પુત્ર ગમાર્યા, તે બેઉની મારફતે જે પત્ર મોકલ્યો, તેમાં આ પ્રમાણે લખેલું છે:
4જે બંદીવાનોને યરુશાલેમથી બાબિલના
બંદીવાસમાં મોકલી દીધા છે
તે સર્વને સૈન્યોના [ઈશ્વર] યહોવા,
ઇઝરાયલના ઈશ્વર, કહે છે,
5“તમે ઘરો બાંધીને તેમાં વસો; અને
વાડીઓ રોપીને તેનાં ફળ ખાઓ.
6સ્ત્રીઓ પરણો, દીકરાદીકરીઓને
જન્મ આપો.
તમારા દીકરાઓનાં લગ્ન કરાવો ને
તમારી દીકરીઓને પરણાવો,
જેથી તેઓને દીકરાદીકરીઓ થાય.
અને ત્યાં તમે વધો, ઓછા ન થાઓ.
7વળી જે નગરમાં મેં તમને બંદીવાસમાં
મોકલી દીધા છે
તેનું કલ્યાણ શોધો, ને
તેને માટે યહોવાને વિનંતી કરો;
કેમ કે તેના કલ્યાણમાં
તમારું કલ્યાણ છે.
8કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવા,
ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે,
તમારી સાથે જે પ્રબોધકો છે તેઓથી
તથા તમારા જોશીઓથી
ભુલાવો ન ખાઓ,
ને તમારાં સ્વપ્નો પર ધ્યાન ન આપો.
9કેમ કે તેઓ મારું નામ લઈને
તમને જૂઠું ભવિષ્ય કહે છે.
મેં તેઓને મોકલ્યા નથી.”
એવું યહોવા કહે છે.
10કેમ કે યહોવા કહે છે, “બાબિલમાં
# ૨ કાળ. ૩૬:૨૧; યર્મિ. ૨૫:૧૧; દા. ૯:૨. સિત્તેર વર્ષ પૂરાં થયા પછી
હું તમારી મુલાકાત લઈશ,
ને તમને આ સ્થળે પાછા લાવીને
તમને આપેલું મારું ઉત્તમ વચન
હું પૂરું કરીશ.
11કેમ કે જે ઇરાદા હું તમારા વિષે રાખું
છું તેઓને હું જાણું છું.
એવું યહોવા કહે છે. એ ઇરાદા
ભવિષ્યમાં તમને આશા આપવા
માટે વિપત્તિને લગતા નહિ પણ
શાંતિને લગતા છે.
12તમે મને હાંક મારશો, ને તમે જઈને
મારી પ્રાર્થના કરશો, એટલે
હું તમારું સાંભળીશ.
13 # પુન. ૪:૨૯. તમે મને શોધશો, ને તમે તમારા ખરા
હ્રદયથી મને ઢૂંઢશો ત્યારે
હું તમને મળીશ.
14વળી યહોવા કહે છે, હું તમને મળીશ
ત્યારે હું તમારો બંદીવાસ
ફેરવી નાખીશ, ને
જે પ્રજાઓમાં તથા સર્વ સ્થળોમાં
મેં તમને હાંકી કાઢયા છે
તે સર્વમંથી હું તમને એકત્ર કરીશ,
એવું યહોવા કહે છે;
અને જે સર્વ સ્થળોમાંથી મેં તમને
બંદીવાસમાં મોકલી દીધા છે,
તે જ સ્થળોમાં હું તમને
પાછા લાવીશ.”
15કેમ કે તમે કહ્યું છે, “યહોવાએ અમારે
માટે બાબિલમાં પણ પ્રબોધકોને
ઊભા કર્યા છે.”
16પરંતુ જે રાજા દાવિદના રાજ્યાસન પર
બેઠેલો છે તેના વિષે,
તથા જે લોકો આ નગરમાં રહે છે,
એટલે તમારા જે ભાઈઓ તમારી
સાથે બંદીવાસમાં આવ્યા નથી,
તે સર્વ વિષે યહોવા કહે છે;
17સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે,
“જુઓ, હું તેઓ પર તરવાર, દુકાળ
તથા મરકી મોકલીશ,
ને હું તેઓને ખવાય નહિ એટલે સુધી
બગડી ગયેલાં તથા સડી ગયેલાં
અંજીરોના જેવા કરી નાખીશ.
18તરવાર, દુકાળ તથા મરકીથી
હું તેઓની પાછળ પડીશ,
ને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં હું તેઓને
અહીં તહીં વિખેરી નાખીશ,
જેથી જે દેશોમાં મેં તેઓને
હાંકી કાઢયા છે
તે સર્વમાં તેઓ શાપ, વિસ્મય,
ફિટકાર તથા નિંદારૂપ થાય.
19કેમ કે મેં પ્રાત:કાળે ઊઠીને મારા સેવકો,
એટલે મારા પ્રબોધકો મારફતે,
જે મારાં વચનો કહેવડાવ્યાં હતાં તે
તેઓએ સાંભળ્યાં નથી,
એવું યહોવા કહે છે; પણ
તમે સાંભળ્યું નહિ, ” એવું
યહોવા કહે છે.
20માટે યરુશાલેમમાંથી જે બંદીવાનો મેં
બાબિલમાં મોકલ્યા છે,
તે તમે સર્વ યહોવાનુમ વચન સાંભળો.
21“કોલાયાનો પુત્ર આહાબ તથા
મોસાયાનો પુત્ર સિદકિયા મારે નામે
તમને ખોટું ભવિષ્ય કહે છે,
તેથી તેઓ વિષે હું સૈન્યોના [ઈશ્વર]
યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહું છું,
જુઓ, હું તેઓને બાબિલના રાજા
નબૂખાદનેસ્સારના હાથમાં સોંપીશ.
અને તે તમારા દેખતાં
તેઓને મારી નાખશે;
22અને તેઓ પરથી ‘સિદકિયા તથા
આહાબને બાબિલના રાજાઓએ
અગ્નિ પર ભૂંજ્યા તેઓના જેવા
યહોવા તારા હાલ કરો, ’
એવો શાપ યહૂદિયાના જે બંદીવાનો
બાબિલમાં છે તેઓ સર્વ આપશે;
23કેમ કે તેઓએ ઇઝરાયલમાં
મૂર્ખાઈ કરી છે,
ને પોતાના પડોશીઓની સ્ત્રીઓની
સાથે વ્યભિચાર કર્યો છે, અને
મેં ફરમાવેલાં નહિ એવાં ખોટાં વચન
તેઓ મારે નામે બોલ્યા છે.
હું [એ વાતનો] જ્ઞાતા છું, ને
હું સાક્ષી છું, ”
એવું યહોવા કહે છે.
શમાયાનો વિરોધી પત્ર
24[પ્રભુ કહે છે,] “શમાયા નેહેલામીને તું કહેજે કે, 25સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, તેં તારે પોતાને નામે યરુશાલેમમાંના સર્વ લોકો ઉપર, માસેયાના પુત્ર સફાન્યા યાજક તથા સર્વ યાજકો ઉપર પત્રો મોકલીને કહેવડાવ્યું છે,
26‘યહોયાદા યાજકના સ્થાને યહોવાએ
તને યાજક નીમ્યો છે,
જેથી તમે યહોવાના મંદિરમાં
અધિકારીઓ થાઓ,
અને જે કોઈ માણસ ઘેલો છતાં
પોતાને પ્રબોધક કહેવડાવે છે તેને
તું બેડી પહેરાવીને હેડમાં નાખ.
27તો હવે અનાથોથનો યર્મિયા જે પોતાને
તમારો પ્રબોધક મનાવે છે તેને
તેં કેમ ધમકાવ્યો નથી?
28કેમ કે તેણે બાબિલમાં અમારા ઉપર
[સંદેશો] મોકલીને કહેવડાવ્યું છે કે,
આ બંદીવાસ લાંબી મુદતનો થશે:
તમે ઘરો બાંધીને તેઓમાં વસો;
અને વાડીઓ રોપીને તેઓનાં ફળ
ખાઓ.’”
29સફાન્યા યાજકે આ પત્ર યર્મિયા પ્રબોધકના સાંભળતાં વાંચી સંભળાવ્યો. 30ત્યારે યહોવાનું વચન યર્મિયાની પાસે આવ્યું, 31“સર્વ બંદીવાનો ઉપર [સંદેશો] મોકલીને કહેવડાવ કે, શમાયા નેહેલામી વિષે યહોવા કહે છે કે, શમાયાએ તમને ભવિષ્ય કહ્યું છે, પણ મેં તેને મોકલ્યો નથી, તેણે જૂઠી વાત પર તમારી પાસે વિશ્વાસ કરાવ્યો છે; 32તેથી યહોવા કહે છે, જુઓ, હું શમાયા નેહેલામીને તથા તેના સંતાનને જોઈ લઈશ; તેના વંશમાંનો કોઈ પુરુષ આ પ્રજામાં વસવા પામશે નહિ, ને મારા લોકોનું હું જે હિત કરીશ તે તે જોવા પામશે નહિ. કેમ કે તે યહોવાની વિરુદ્ધ બંડ [નાં વચન] બોલ્યો છે, ” એવું યહોવા કહે છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for યર્મિયા 29