Logótipo YouVersion
Ícone de pesquisa

યોહાન 16

16
1કોઈ તમને ઠોકર ખવડાવે નહિ, માટે મેં તમને એ વચનો કહ્યાં છે. 2તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે. હા, એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે. 3તેઓ પિતાને તથા મને ઓળખતા નથી, માટે તેઓ એ કામો કરશે. 4પણ જ્યારે તેમનો સમય આવે ત્યારે તમે યાદ કરો કે મેં તે તમને કહ્યું હતું, માટે એ વચનો મેં તમને કહ્યાં છે.
પવિત્ર આત્માનું કાર્ય
પહેલાંથી એ વચનો મેં તમને કહ્યાં ન હતાં, કેમ કે હું તમારી સાથે હતો. 5પણ હવે હું મારા મોકલનારની પાસે જાઉં છું. અને તું ક્યાં જાય છે એમ તમારામાંનો કોઈ મને પૂછતો નથી. 6પણ મેં તમને એ વચનો કહ્યાં છે, માટે તમારાં મન શોકથી ભરપૂર છે. 7તોપણ હું તમને સત્ય કહું છું. મારું જવું તમને લાભકારક છે; કેમ કે જો હું નહિ જાઉં, તો સંબોધક તમારી પાસે આવશે નહિ. પણ જો હું જાઉં, તો હું તેને તમારી પાસે મોકલી દઈશ. 8જ્યારે તે આવશે ત્યારે તે પાપ વિષે, ન્યાયપણા વિષે તથા ન્યાય ચૂકવવા વિષે, જગતને ખાતરી કરી આપશે. 9પાપ વિષે, કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી; 10ન્યાયીપણા વિષે, કેમ કે હું પિતાની પાસે જઉં છું; અને તમે હવેથી મને જોશો નહિ; 11ન્યાય ચૂકવવા વિષે, કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય‍ ચૂકવવામાં આવ્‍યો છે.
12હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તમે તે ખમી શકતા નથી. 13તોપણ જે સત્યનો આત્મા, તે જ્યારે આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કેમ કે તે પોતાના તરફથી બોલશે નહિ, પણ જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે; અને જે જે થનાર છે તે તમને કહી બતાવશે. 14તે મને મહિમાવાન કરશે, કેમ કે મારું જે છે તેમાંનું લઈને તે તમને કહી બતાવશે. 15જે પિતાનાં છે, તે સર્વ મારાં છે. અને તેટલા માટે મેં કહ્યું કે, મારું જે છે તેમાંનું લઈને તે તમને કહી બતાવશે.
ઈસુ ફરી પાછા આવશે
16થોડી વાર પછી તમે મને જોશો નહિ, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો.” 17એથી તેના શિષ્યોમાંના કેટલાકે અંદરોઅંદર કહ્યું, “થોડી વાર પછી તમે મને જોશો નહિ, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો, કેમ કે હું પિતાની પાસે જાઉં છું; એવું તે આપણને કહે છે તે શું હશે?” 18તેથી તેઓએ કહ્યું, “થોડી વાર પછી, એમ તે કહે છે તે શું છે? તે શું કહે છે એ આપણે સમજતા નથી.”
19તેઓ મને પૂછવા ચાહે છે, એ ઈસુએ જાણ્યું, તેથી તેમણે તેઓને કહ્યું, “થોડી વાર પછી તમે મને જોશો નહિ, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો, એ જે મેં કહ્યું, તે વિષે તમે અંદરોઅંદર પૂછો છો? 20હું તમને ખચીત ખચીત કહું છું કે, તમે રડશો ને શોક કરશો પણ જગત આનંદ પામશે. તમે દિલગીર થશો, પણ તમારી દિલગીરી આનંદરૂપ થઈ જશે. 21જ્યારે સ્‍ત્રી પ્રસવવેદનામાં હોય છે ત્યારે તેને શોક થાય છે, કેમ કે તેનો વખત આવ્યો છે. પણ બાળકનો જન્મ થયા પછી, જગતમાં એક માણસ જનમ્યું છે તેના આનંદથી તે દુ:ખ તેને ફરીથી યાદ આવતું નથી. 22તેમ હમણાં તો તમને દિલગીરી થાય છે ખરી. પણ હું ફરીથી તમને મળીશ ત્યારે તમે તમારાં મનમાં આનંદ પામશો, અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ લઈ લેનાર નથી. 23તે દિવસે તમે મને કંઈ પૂછશો નહિ. હું તમને ખચીત ખચીત કહું છું કે, જો તમે પિતા પાસે કંઈ માંગશો તો તે તમને મારે નામે તે આપશે. 24હજી સુધી મારે નામે તમે કંઈ માગ્યું નથી. તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માગો, ને તમને મળશે.
દુનિયા પર વિજય
25એ વચનો મેં તમને દ્દષ્ટાંતોમાં કહ્યાં છે. એવો સમય આવે છે કે જયારે દ્દષ્ટાંતોમાં હું તમારી સાથે બોલીશ નહિ, પણ હું તમને પિતા સંબંધી સ્પષ્ટ રીતે કહી બતાવીશ. 26તે દિવસે મારે નામે તમે માગશો; અને હું તમને એમ નથી કહેતો કે હું તમારે માટે પિતાને વિનંતી કરીશ. 27કેમ કે પિતા પોતે તમારા પર પ્રેમ રાખે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે, અને હું ઈશ્વરની પાસેથી આવ્યો છું, એવો વિશ્વાસ પણ તમે કર્યો છે. 28હું પિતા પાસેથી નીકળીને જગતમાં આવ્યો છું. વળી હું જગતને છોડીને પિતાની પાસે જાઉં છું.”
29તેમના શિષ્યો કહે છે કે, “જુઓ, તમે હવે સ્પષ્ટ રીતે બોલો છો, અને કંઈ દ્દષ્ટાંત કહેતા નથી. 30હવે અમે જાણીએ છીએ કે, તમે બધી વાતો જાણો છો, ને કોઈ માણસ તમને પૂછે એવી તમને અગત્ય નથી. એ ઉપરથી અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે ‘ઈશ્વર’ પાસેથી આવ્યા છો.”
31ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “તમે શું હવે વિશ્વાસ કરો છો? 32જુઓ, એવી ઘડી આવે છે, હા હમણાં આવી છે કે જયારે તમે દરેક માણસ પોતપોતાનાંની તરફ વિખેરાઈ જશો, અને મને એકલો મૂકશો, તોપણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે. 33મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યાં છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો; જગતને મેં જીત્યું છે.”

Atualmente selecionado:

યોહાન 16: GUJOVBSI

Destaque

Partilhar

Copiar

None

Quer salvar os seus destaques em todos os seus dispositivos? Faça o seu registo ou inicie sessão