BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂકPrøve
લૂક આપણને કેટલીક સ્ત્રીઓ વિશે વાત કરે છે, જેઓ ઈસુ જીવતાં હતાં ત્યારે તેમની પાછળ ચાલતી હતી. તેઓ ઈસુને વધસ્તંભ પર જડવામાં આવ્યા, અને તેમના મરણ પછી તેમને કબરમાં મૂકવામાં આવ્યા તે જુએ છે, અને વિશ્રામવારના દિવસની પરોઢિયે વહેલાં ઈસુની કબરે આવે છે. પરંતુ જ્યારે તેઓ ત્યાં પહોંચે છે, ત્યારે તેઓને કબર ખુલ્લી અને ખાલી જોવા મળે છે. તેઓ સમજી શકતી નથી, કે ઈસુનો મૃતદેહ ક્યાં ગયો. અચાનક જ બે રહસ્યમય અને પ્રકાશિત વ્યક્તિઓ ત્યાં પ્રગટ થઇને તેઓને કહે છે, કે ઈસુ જીવતા છે. તેઓ આશ્ચર્ય પામે છે. તેઓ દોડીને જાય છે અને તેમણે જે કંઈ જોયું છે તે બીજા શિષ્યોને જણાવે છે. પરંતુ તેમની વાતો બધાને બકવાસ લાગે છે અને કોઈ તેમનો વિશ્વાસ કરતું નથી.
તે દરમિયાન યરુશાલેમની બહાર ઈસુના બે અનુયાયીઓ શહેર છોડીને એમ્મૌસ નામના નગર તરફ જવાના રસ્તા પર મુસાફરી કરે છે. જ્યારે ઈસુ તેમની સાથે થાય છે, ત્યારે તેઓ પાસ્ખાપર્વના અઠવાડિયા દરમિયાન જે કંઈ બન્યું તેની વાત કરે છે. પરંતુ આશ્ચર્યજનક રીતે તેઓને ખબર પડતી નથી કે તે ઈસુ જ છે. ઈસુ તેમની સાથે વાત કરવાની શરૂઆત કરે છે, અને તેમને પૂછે છે, કે તેઓ શું વાત કરી રહ્યાં છે. તેઓ રસ્તામાં જ ઊભા રહી જાય છે, અને આ વાતથી દુ:ખી થઈ જાય છે, અને તેમને આશ્ચર્ય થાય છે, કે આ માણસને ખબર નથી લાગતી, કે છેલ્લા કેટલાક દિવસોમાં શું થયું છે. તેઓ કહે છે, કે તેઓ ઈસુ વિશે વાત કરી રહ્યાં છે, જે એક પ્રભાવશાળી પ્રબોધક હતા અને લોકો એમ માનતા હતાં કે તે ઈઝરાયલને બચાવશે. પરંતુ તેના બદલે ઈસુને મારી નાખવામાં આવ્યા.
તેઓ ઈસુને કહે છે કે કેટલીક સ્ત્રીઓ એમ કહે છે કે તે જીવિત છે, પરંતુ તેઓ જાણતા નથી કે તેમનો વિશ્વાસ કરવો કે નહિ. તેથી ઈસુ સમજાવે છે કે આ એ જ બાબત છે જેના તરફ યહૂદી ધર્મશાસ્ત્રો લાંબા સમયથી નિર્દેશ કરી રહ્યાં હતાં. ઈઝરાયલને એવા રાજાની જરૂર હતી, કે જે એવા લોકો વતી યાતનાઓ સહન કરે અને જેઓ ખરેખર બળવાખોર છે, તેમના વતી પોતે એક બળવાખોર વ્યક્તિ તરીકે મરણ પામે. આ રાજા સાચું જીવન આપવા માટે પોતાના પુનરુત્થાન દ્વારા નિર્દોષ અને ન્યાયી સાબિત થશે, અને જેઓ તેમને સ્વીકારશે તેમને સાચું જીવન આપશે. પરંતુ મુસાફરો હજી તેમને સમજી શકતાં નથી. તેઓ તો હજુ પણ મુંઝવણમાં હતા અને ઈસુને તેમની સાથે વધારે સમય રહેવાની વિનંતી કરે છે. આ વાત એ દ્રશ્ય તરફ દોરી જાય છે, જેમાં લૂક આપણને જણાવે છે કે કેવી રીતે ઈસુ તેમની સાથે ભોજન લેવા માટે બેસે છે. તે હાથમાં રોટલી લે છે, ઈશ્વરને પ્રાર્થના કરે છે અને તેમના મરણ અગાઉ છેલ્લા ભોજન વખતે કર્યું હતું, તેમ રોટલી ભાંગીને તેમને આપે છે. આ તો વધસ્તંભ પરના તેમના મરણનું ચિત્ર છે. જ્યારે તેઓ રોટલીનો ટુકડો લે છે, ત્યારે તેમની આંખો ખૂલે છે, અને તેમની આંખો ઈસુને જોવા માટે ખુલે છે. આ વાત જણાવે છે કે ઈસુને તે જેવા છે, તેવા ઓળખવા કેટલાં મુશ્કેલ છે. આ વ્યક્તિના શરમજનક બલિદાન દ્વારા ઈશ્વરની દૈવી શક્તિ અને પ્રેમ કેવી રીતે પ્રગટ થઈ શકે? કેવી રીતે એક નિર્બળ લાગતો વ્યક્તિ તેના આત્મબલિદાનથી જગતનો રાજા બની શકે? તે જોવું ઘણું અઘરું છે! પરંતુ આ લૂકની સુવાર્તાનો સંદેશ છે. તેને જોવા માટે અને ઈસુના ઉથલ-પાથલ કરતાં રાજ્યને સ્વીકારવા માટે આપણા હૃદયોનું પરિવર્તન થવું અનિવાર્ય છે.
વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો:
• તમે ઈસુના પુનરુત્થાનના દિવસે તેમની કબર પાસે છો એવી કલ્પના કરો. તમે કેવી લાગણી અનુભવશો? તમે શું કહેશો અને શું કરશો?
• શું તમે જુઓ છો કે કેવી રીતે બધા જ પ્રાચીન પ્રબોધકો ઈસુ તરફ નિર્દેશ કરે છે? શું તમે વિશ્વાસ કરો છો કે ઈસુ રાજા છે? જો હા, તો તમારા જીવનના એવા સમય વિશે વિચારો, જ્યારે તમે એવું માનતા ન હતા. ઈસુને તેઓ જેવા છે તેવા ઓળખવામાં તમને શેમાંથી મદદ મળી? અને જો તમને હજુ પણ ઈસુના જીવન વિશેની લૂકની વાત પર વિશ્વાસ ન હોય, તો ગમે તેમ કરીને આજે જ ઈશ્વરને વિનંતી કરો, કે તે તમને ઈસુ જેવા છે તેવા તેમને જોવા માટે, અને ઓળખવા માટેની આંખો આપે.
• તમારા વાંચન અને મનન મુજબ હૃદયથી એક પ્રાર્થના કરો. તે તમને સાંભળે છે.
Skriften
Om denne planen
બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-1" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય અને તેઓ લૂકના પુસ્તકની અદ્દભૂત રચના તથા વિચારોના પ્રવાહને સમજે તે માટે તેમાં ઍનિમેટેડ વિડિયો, પ્રેરણાદાયી સારાંશો અને મનનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
More