YouVersion Logo
Search Icon

પ્રે.કૃ. 11

11
યરુશાલેમની મંડળી આગળ અહેવાલ
1હવે જે પ્રેરિતો તથા ભાઈઓ યહૂદિયામાં હતા તેઓએ સાંભળ્યું કે, વિદેશીઓએ પણ ઈશ્વરનાં વચનનો અંગીકાર કર્યો છે. 2જ્યારે પિતર યરુશાલેમ પાછો આવ્યો, ત્યારે સુન્નતીઓએ તેની ટીકા કરતા કહ્યું કે, 3‘તેં બેસુન્નતીઓના ઘરમાં જઈને તેઓની સાથે ભોજન કર્યું.’
4ત્યારે પિતરે તેઓને તે વાતનો વિગતવાર ખુલાસો કરતા કહ્યું કે, 5‘હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરતો હતો, તે વખતે મને મૂર્છા આવી; અને મેં દર્શનમાં જાણે કે એક મોટી ચાદર તેના ચાર ખૂણાથી લટકાવેલુ હોય તેવું એક વાસણ સ્વર્ગમાંથી ઊતરતું જોયું; તે મારી પાસે આવ્યું.’ 6તેના પર એકીટસે જોઈને મેં ધ્યાન આપ્યું, તો મેં તેમાં પૃથ્વી પરનાં ચોપગા પ્રાણીઓ, રાની પશુઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ તથા આકાશનાં પક્ષીઓ જોયાં.
7વળી મેં એક વાણીને મને એમ કહેતી સાંભળી કે, પિતર, ઊઠ, મારીને ખા. 8પણ મેં કહ્યું, પ્રભુ, એમ નહિ; કેમ કે કોઈ પણ નાપાક અથવા અશુદ્ધ ખોરાકનો આહાર મેં કર્યો નથી. 9પણ તેના ઉત્તરમાં સ્વર્ગમાંથી બીજી વાર વાણી થઈ કે, ઈશ્વરે જેને શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ. 10એમ ત્રણ વાર થયું; પછી તે બધાને સ્વર્ગમાં પાછા ખેંચી લેવામાં આવ્યાં.
11અને જુઓ, તે જ સમયે કાઈસારિયાથી મારી પાસે મોકલેલા ત્રણ માણસો, જે ઘરમાં અમે હતા તેની આગળ આવી ઊભા રહ્યા. 12આત્માએ મને કહ્યું કે, કંઈ પણ ભેદ રાખ્યા વિના તેઓની સાથે જા. આ છ ભાઈઓ પણ મારી સાથે આવ્યા; અને અમે તે વ્યક્તિના ઘરમાં ગયા; 13ત્યારે તેણે અમને ખબર આપી કે, મેં મારા ઘરમાં એક સ્વર્ગદૂતને ઊભેલો જોયો, તેણે મને કહ્યું કે, જોપ્પામાં માણસ મોકલી સિમોન જેમનું બીજું નામ પિતર છે, તેને બોલાવ; 14તે તને એવી વાતો કહેશે કે તેથી તું તથા તારાં ઘરનાં સર્વ વ્યક્તિઓ ઉદ્ધાર પામશો.
15હું જેમ પ્રવચન કરવા લાગ્યો કે તરત જેમ પ્રથમ આપણા પર પવિત્ર આત્માએ આચ્છાદન કર્યું હતું, તેમ તેઓ પર પણ પવિત્ર આત્મા ઊતર્યો. 16ત્યારે પ્રભુની એ કહેલી વાત મને યાદ આવી કે, યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.
17માટે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ત્યારે આપણને જેવું દાન મળ્યું તેવું જ દાન ઈશ્વરે તેઓને પણ આપ્યું, તો હું કોણ કે, ઈશ્વરને અટકાવું? 18આ વાતો સાંભળીને તેઓ ચૂપ રહ્યા, અને ઈશ્વરને મહિમા આપતા કહ્યું કે, ઈશ્વરે બિનયહૂદીઓને પણ પશ્ચાતાપ કરવાનું મન આપ્યું છે કે તેઓ જીવન પામે.
અંત્યોખમાં શિષ્યો ખ્રિસ્તી કહેવાયા
19સ્તેફનના સંબંધમાં થયેલી સતાવણીથી જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ ફિનીકિયા, સાયપ્રસ તથા અંત્યોખ સુધી ગયા, પણ તેઓએ યહૂદીઓ સિવાય કોઈને પ્રભુની વાત પ્રગટ કરી ન હતી. 20પણ તેઓમાંના કેટલાક સાયપ્રસના તથા કુરેનીના માણસો હતા, તેઓએ અંત્યોખ આવીને ગ્રીક લોકોને પણ પ્રભુ ઈસુ વિષેની સુવાર્તા કહી સંભળાવી. 21પ્રભુનો હાથ તેઓની સાથે હતો, અને ઘણાં લોકો વિશ્વાસ કરીને પ્રભુ તરફ વળ્યા.
22તેઓ વિષેના સમાચાર યરુશાલેમના વિશ્વાસી સમુદાયના કાને આવ્યા, ત્યારે તેઓએ બાર્નાબાસને અંત્યોખ સુધી મોકલ્યો; 23તે ત્યાં આવ્યો, ત્યારે ઈશ્વરની કૃપા જોઈને તે આનંદ પામ્યો; અને તેણે તેઓ સર્વને દ્દ્રઢ હૃદયથી પ્રભુને વળગી રહેવાનો બોધ કર્યો; 24કેમ કે તે સારો માણસ હતો, અને પવિત્ર આત્માથી તથા વિશ્વાસથી ભરપૂર હતો; અને ઘણાં લોક પ્રભુના વિશ્વાસી સમુદાયમાં જોડાયાં.
25પછી બાર્નાબાસ શાઉલની શોધ કરવા સારુ તાર્સસ ગયો; 26અને તે મળ્યો ત્યારે બાર્નાબાસ તેને અંત્યોખમાં લાવ્યો. તેઓએ એક આખું વર્ષ વિશ્વાસી સમુદાયની સાથે રહીને ઘણાં લોકોને બોધ કર્યો; શિષ્યો પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા.
27હવે એ દિવસોમાં કેટલાક પ્રબોધકો યરુશાલેમથી અંત્યોખ આવ્યા. 28તેઓમાંના આગાબસ નામે એક જણે ઊભા થઈને આત્માની પ્રેરણાથી સૂચવ્યું કે, આખી દુનિયામાં મોટો દુકાળ સર્જાશે; અને કલોડિયસના રાજ્યકાળમાં તેમ જ થયું.
29ત્યારે શિષ્યોએ ઠરાવ કર્યો કે, આપણામાંના દરેક માણસે પોતપોતાની શક્તિ પ્રમાણે યહૂદિયામાં રહેનાર ભાઈઓને કંઈ મદદ મોકલવી. 30તેઓએ તેમ કર્યું, અને બાર્નાબાસ તથા શાઉલની મારફતે વડીલો પર નાણાં મોકલ્યાં.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in