YouVersion Logo
Search Icon

નિર્ગમન પ્રસ્તાવના

પ્રસ્તાવના
‘નિર્ગમન’ એટલે બહાર જવું; એ તો હિબ્રૂ એટલે ઇઝરાયલી લોકો ઇજિપ્ત દેશની બહાર નીકળી આવ્યા તેનો નિર્દેશ કરે છે. ઇઝરાયલ પ્રજા સેંકડો વર્ષો સુધી ઇજિપ્ત દેશમાં ત્યાંની રાજસત્તા નીચે ગુલામગીરીમાં રહી. એ પછી મોશેની આગેવાની નીચે આ ગુલામીમાંથી છુટકારો મેળવીને કનાન દેશ તરફ પ્રયાણ કર્યું. ઇઝરાયલી પ્રજાના જીવન અને ઇતિહાસમાં આ પ્રયાણ અથવા ‘નિર્ગમન’ કેન્દ્રીય સ્થાને છે. આ ઉપરથી પુસ્તકનું નામ ‘નિર્ગમન’ રાખવામાં આવ્યું છે. ‘નિર્ગમન’ના પુસ્તકમાં ઈશ્વરનું પ્રક્ટીકરણ, તેમનાં ગુણલક્ષણો, તેમનું ઉદ્ધારક કાર્ય, તેમનો નિયમ અને તેમની આરાધના કેવી રીતે કરવી તેની રજૂઆત છે. ઇઝરાયલી લોકોને પસંદ કરીને તેમની સાથે કરારીય સંબંધ સ્થાપ્યો અને તેમને વચનના દેશનો વારસો આપવાને તૈયાર કર્યા તેની વાત છે.
પુસ્તકમાં ચાર ભાગ સ્પષ્ટ દેખાય છે.
(૧) હિબ્રૂ લોકો ગુલામગીરીમાંથી છુટકારો પામે છે;
(૨) આ હિબ્રૂ લોકોની સિનાઈ પર્વત તરફની મુસાફરી;
(૩) સિનાઈ પર્વત આગળ ઈશ્વરે પોતાના લોકો સાથે કરાર કર્યો; અને એ કરાર દ્વારા ઈશ્વરે તેમને નૈતિક, રાષ્ટ્રીય, સામાજિક, અને ધાર્મિક કાયદાઓ આપ્યા. આ નિયમશાસ્ત્ર આ લોકોના દૈનિક જીવનની કાયમની આચારસંહિતા બની રહી; અને
(૪) ઇઝરાયલ લોકોનાં ભજન-ભક્તિ માટેનું સ્થાન (મુલાકાતમંડપ), એને બાંધવું, એનો સરસામાન તૈયાર કરવો, અને એમાં સેવાકાર્ય કરતા યજ્ઞકારો માટેના તેમ જ ઈશ્વર-સેવાના નિયમો અને વિધિઓ ઠરાવવા.
હિબ્રૂ કે યહૂદી કે ઇઝરાયલ એ જુદાં જુદાં નામો આ એક જ પ્રજાનાં છે. કનાન દેશ પાછળથી પાલેસ્તાઈન તરીકે જાણીતો થયો. આજનો ઇઝરાયલ દેશ કનાનના મોટા ભાગના પ્રદેશનો બનેલો છે.
સૌથી વિશેષ તો, ઈશ્વરે પોતાના લોકોને ગુલામીમાંથી છોડાવવા શું શું કર્યું, અને રણપ્રદેશની મુસાફરીમાં તેમને કેવી રીતે કેળવીને એક રાષ્ટ્ર તરીકે સ્થાપન કર્યા તેનું વર્ણન પુસ્તકમાં આપવામાં આવ્યું છે. પુસ્તકમાં કોઈ માનવી વ્યક્તિ કેન્દ્રીય સ્થાને હોય તો તે મોશે છે. ઈશ્વરે મોશેને પસંદ કર્યો, તૈયાર કર્યો, અને ઇઝરાયલીઓને ઇજિપ્તની ગુલામીમાંથી મુક્ત કરવા તેને વાપર્યો. પુસ્તકનો સૌથી વધુ જાણીતો ભાગ 20મા અયાયની “દશ આજ્ઞાઓ” છે.
રૂપરેખા:
ઇજિપ્તમાંથી ઇઝરાયલીઓની મુક્તિ ૧:૧—૧૫:૨૧
ક. ઇજિપ્તમાં ગુલામી ૧:૧-૨૨
ખ. મોશેનો જન્મ અને યુવાકાળ ૨:૧—૪:૩૧
ગ. મોશે અને તેના ભાઈ આરોનનો ઇજિપ્તના રાજાને પડકાર ૫:૧—૧૧:૧૦
ઘ. પાસ્ખાયજ્ઞ અને ઇજિપ્તમાંથી વિદાય ૧૨:૧—૧૫:૨૧
સૂફ સમુદ્રથી સિનાઈ પર્વત સુધીની મુસાફરી ૧૫:૨૨—૧૮:૨૭
નિયમશાસ્ત્ર અને કરાર ૧૯:૧—૨૪:૧૮
મુલાકાતમંડપ અને ભક્તિ તથા યજ્ઞયાગ સંબંધીની સૂચનાઓ ૨૫:૧—૪૦:૩૮

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in