YouVersion Logo
Search Icon

ઝખાર્યા 14

14
યરુશાલેમ અને અન્ય પ્રજાઓ
1“જો, યહોવાનો એક એવો દિવસ આવે છે કે જ્યારે તારી લૂંટ તારી મધ્યે વહેંચવામાં આવશે. 2કેમ કે હું સર્વ પ્રજાઓને યરુશાલેમની સામે યુદ્ધ કરવાને એકત્ર કરીશ; અને તે નગર સર કરવામાં આવશે, ઘરો લૂંટવામાં આવશે, ને સ્ત્રીઓની આબરૂ લેવામાં આવશે. અડધું નગર ગુલામગીરીમાં જશે, પણ બાકીના લોકોને નગરમાંથી કાપી નાખવામાં આવશે નહિ.” 3ત્યાર પછી યહોવા, જેમ પોતે યુદ્ધને દિવસે લડયા હતા તેમ, તે પ્રજાઓની સામે જઈને લડશે. 4તે દિવસે તેમના પગ યરુશાલેમની સામે પૂર્વ દિશાએ આવેલા જૈતૂન પર્વત પર ઊભા રહેશે, ને જૈતૂન પર્વત વચ્ચોવચથી પૂર્વ તરફ ને પશ્ચિમ તરફ ફાટશે, જેથી બહુ મોટી ખીણ થઈ જશે; અડધો પર્વત ઉત્તર તરફ ને અડધો દક્ષિણ તરફ ખસી જશે. 5તમે પર્વતોની ખીણમાં થઈને નાસી જશો, કેમ કે પર્વતોની ખીણ આસેલ સુધી પહોંચશે. હા, યહૂદિયાના રાજા ઉઝિયાના સમયમાં ધરતીકંપથી જેમ તમે નાસી છૂટયા હતા તેમ તમે નાસી જશો; અને મારો ઇશ્વર યહોવા પોતાની સાથે સર્વ પવિત્રોને લઈને આવશે.
6તે દિવસે અજવાળામાં [ચોખ્ખો] પ્રકાશ કે [ચોખ્ખો] અંધકાર હશે નહિ. 7પણ તે એવો દિવસ હશે‍ કે જે વિષે યહોવા જ જાણે છે. એટલે દિવસ નહિ, તેમ રાત પણ નહિ; પણ એવું બનશે કે, સાંજની વખતે અજવાળું હશે. 8વળી તે દિવસે #હઝ. ૪૭:૧; યોહ. ૭:૩૮; પ્રક. ૨૨:૧. યરુશાલેમમાંથી જીવતાં પાણી નીકળીને વહેશે; એટલે અડધાં પૂર્વ સમુદ્ર તરફ ને અડધાં પશ્ચિમ સમુદ્ર તરફ; એમ ઉનાળામાં તથા શિયાળામાં પણ થશે.
9યહોવા આખી પૃથ્વી ઉપર રાજા થશે. તે દિવસે યહોવા એક જ મનાશે, ને તેમનું નામ એક જ હશે. 10આખો દેશ ગેબાથી તે યરુશાલેમની દક્ષિણે રિમ્મોન સુધી બદલાઈને મેદાન થઈ જશે. બિન્યામીનના દરવાજાથી પહેલા દરવાજા સુધી, અને હનાનેલના બુરજથી તે રાજાના દ્રાક્ષાકુંડ સુધી, [યરુશાલેમને] ઊંચું કરવામાં આવશે, અને તે પોતાને સ્થાને રહેશે. 11માણસો તેમાં વસશે, ને #પ્રક. ૨૨:૩. ફરીથી શાપ આવશે નહિ; પણ યરુશાલેમ સહીસલામત રહેશે.
12જે સર્વ પ્રજાઓએ યરુશાલેમની વિરુદ્ધ યુદ્ધ કર્યું હશે તેમના ઉપર યહોવા મરકીનો માર લાવશે: [એ માર એવો આવશે કે] તેઓ પોતાને પગે ઊભા હશે એટલામાં તેમનું માંસ ક્ષીણ થઈ જશે, તેમની આંખો તેઓના ખાડામાં ક્ષીણ થઈ જશે. 13તે દિવસે યહોવા તરફથી તેઓમાં મોટો ગભરાટ થઈ રહેશે. તેઓ એકબીજાના હાથ પકડશે, ને દરેક માણસન હાથ પોતાના પડોશીના હાથ સામે ઉઠાવવામાં આવશે. 14વળી યહૂદિયા પણ યરુશાલેમની સામે યુદ્ધ મચાવશે; અને આસપાસની સર્વ પ્રજાઓની સંપત્તિ, એટલે સોનું, રૂપું તથા વસ્ત્રો મોટા જથાબંધ ભેગાં કરવામાં આવશે. 15અને [ઉપર કહ્યા પ્રમાણે] તે છાવણીઓમાંના ઘોડાઓનો, ખચ્ચરોનો, ઊંટોનો, ગધેડાનો તથા સર્વ પશુઓનો મરો થશે.
16યરુશાલેમ સામે ચઢી આવેલી સર્વ પ્રજાઓમાંનો બચી ગયેલો દરેક માણસ રાજાની, એટલે સૈન્યોના [ઈશ્વર] યહોવાની આરાધના કરવા તથા #લે. ૨૩:૩૯-૪૩. માંડવાપર્વ પાળવા વર્ષોવર્ષ જશે. 17પૃથ્વી પરની પ્રજાઓમાંથી જે કોઈ [પોતાના] રાજા, એટલે સૈન્યોના [ઈશ્વર] યહોવાની આરાધના કરવાને યરુશાલેમ નહિ જાય, તેમા પર વરસાદ આવશે નહિ. 18અને જો મિસરના લોકો ત્યાં જાય નહિ, તો તેમનામાં મરકી ચાલશે; જે પ્રજાઓ માંડવાપર્વ પાળવાને જાય નહિ તેઓમાં મરકી મોકલીને યહોવા તેમને મારશે. 19મિસરને તથા માંડવાપર્વ પાળવા નહિ જનારી સર્વ પ્રજાઓને એ સજા થશે. 20તે દિવસે ઘોડાઓની ઘંટડીઓ ઉપર ‘યહોવાને માટે પવિત્ર’ [એ શબ્દો] હશે; અને યહોવાના મંદિરમાંનાં તપેલાં વેદી આગળના પ્યાલા જેવાં થશે. 21હા, યરુશાલેમમાંનું તથા યહૂદિયામાંનું દરેક તપેલું સૈન્યોના [ઈશ્વર] યહોવાને માટે પવિત્ર થશે. અને બલિદાન આપનારા સર્વ માણસો આવીને તેમાંના કેટલાંક [તપેલાં] લઈને તેમાં બાફશે; અને તે સમયે સૈન્યોના [ઈશ્વર] યહોવાના મંદિરમાં કદી કોઈ કનાની હશે નહિ.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for ઝખાર્યા 14