યર્મિયા 48
48
મોઆબનો થનારો સર્વનાશ
1 #
યશા. ૧૫:૧—૧૬:૧૪; ૨૫:૧૦-૧૨; હઝ. ૨૫:૮-૧૧; આમો. ૨:૧-૩; સફા. ૨:૮-૧૧. મોઆબ વિષે:સૈન્યોના
[ઈશ્વર] યહોવા, ઇઝરાયલના
ઈશ્વર, કહે છે, “નબોને અફસોસ!
કેમ કે તે ઉજ્જડ થયું છે.
કિર્યાથાઈમ લજ્જિત થયું છે, તથા
તેને જીતી લેવામાં આવ્યું છે.
મિસ્ગાબ લજ્જિત તથા
પાયમાલ થયું છે.
2મોઆબનાં વખાણ ફરીથી
કોઈ કરશે નહિ.
તેઓએ હેશ્બોનમાં તેની પાયમાલી
કરવાની યોજના કરી છે,
ચાલો, ને તે એક પ્રજા તરીકે રહે
નહિ એવી રીતે તેને નષ્ટ કરીએ.
હે માદમેન, તારામાં પણ કોઈ અવાજ
સંભળાશે નહિ!
તરવાર તારી પાછળ પડશે.
3હોરોનાયિમથી કકલાણ, લૂંટ તથા ભારે
વિનાશ [ની ખબર આવે છે!
4મોઆબ નષ્ટ થયું છે; તેનાં નાનાં
બાળકોનું રુદન સંભળાય છે.
5કેમ કે તેઓ નિત્ય રડતાં રડતાં લૂહીથના
ચઢાવ પર ચઢશે;
કેમ કે તેઓએ હોરોનાયિમના
ઢોળાવની પાસે વિનાશનો
સંતાપકારી પોકાર સાંભળ્યો છે.
6તમારો જીવ લઈને નાસો,
ને વગડામાંની દૂર્વા જેવા થાઓ.
7તેં તારાં કામો પર તથા તારા દ્રવ્ય પર
વિશ્વાસ રાખ્યો છે,
માટે તને પણ પડકવામાં આવશે;
વળી પોતાના યાજકો તથા સરદારો
સહિત કમોશ બંદીવાસમાં જશે.
8વિનાશક સર્વ નગર પર તૂટી પડશે,
કોઈ નગર બચશે નહિ.
યહોવાએ કહ્યું છે તેમ ખીણનો નાશ
થશે, ને મેદાન પાયમાલ થશે.
9મોઆબને પાંખો આપો કે તે ઊડી જાય,
તેનાં નગરો ઉજ્જડ થશે,
તેમાં કોઈ રહેશે નહિ.
10જે કોઈ યહોવાનું કામ કરવામાં બેદરકાર રહે તે શાપિત થાઓ, અને જે કોઈ રક્ત પાડતાં પોતાની તરવાર અટકાવી રાખે તે શાપિત થાઓ.
મોઆબનાં નગરોનો નાશ
11મોઆબ પોતાની તરુણાવસ્થાથી સ્વસ્થ રહ્યો છે, તેનામાં રગડો ઠરી ગયો છે, તેને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડવામાં આવ્યો નથી, તે બંદીવાસમાં ગયો નથી, તેથી તેનો સ્વાદ જેવો ને તેવો રહ્યો છે, ને તેની વાસ બદલાઈ નથી. 12તેથી યહોવા કહે છે, જુઓ, એવો સમય આવે છે કે, જે સમયે હું તેની પાસે ઊલટસૂલટ કરનારા મોકલીશ, તેઓ તેને ઉલટપાલટ કરશે. અને તેઓ તેનાં પાત્રો ખાલી કરશે, ને તેની બરણી ફોડી નાખશે. 13જેમ બેથેલ પર ભરોસો રાખીને ઇઝરાયલીઓ ફજેત થયા, તેમ કમોશ પર ભરોસો રાખીને મોઆબ ફજેત થશે.
14‘અમે શૂરવીરો અને યુદ્ધમાં પરાક્રમી
પુરુષો છીએ, ’
એવું તમે કેમ કહો છો?
15જે રાજાનું નામ સૈન્યોના [ઈશ્વર]
યહોવા છે, તે કહે છે,
મોઆબ ઉજ્જડ થયો છે,
તનાં નગરોમાં [શત્રુઓ] ઘૂસી ગયા છે,
તેના શ્રેષ્ઠ જુવાનો કતલ થવા
માટે જ ઊતરી ગયા છે.
16મોઆબની આફત
નજીક આવી પહોંચી છે,
ને તેની પાયમાલી બહુ
ઉતાવળથી આવે છે.
17તેની આસપાસના લોકો, ને તેનું નામ
જાણનારા તમે સર્વ તેને માટે વિલાપ
કરો; અને કહો,
‘શક્તિનો દંડ, ને સૌંદર્યની છડી કેવી
ભાંગી ગઈ છે!’
18અરે દિબોનમાં રહેનારી દીકરી, તું તારા
ગૌરવથી ઊતરીને તરસી થઈને બેસ;
કેમ કે મોઆબનો નાશ કરનાર તારા
ઉપર ચઢી આવ્યો છે,
તેણે તારા કિલ્લાઓનો નાશ કર્યો છે.
19અરે અરોએરમાં રહેનારી, તું માર્ગ પર
ઊભી રહીને તાકી રહે;
જે પુરુષ નાસે છે, ને જે સ્ત્રી જતી
રહે છે, તેઓને પૂછ કે, શું થયું છે?
20મોઆબ લજ્જિત થયો છે;
કેમ કે તેની પાયમાલી થઈ છે:
રડો, આક્રંદ કરો; આર્નોનમાં ખબર
આપો કે, ‘મોઆબ ઉજ્જડ થયો છે.’
21સપાટ પ્રદેશ પર હોલોન, યાહસા, મેફાથ, 22દિબોન, નબો, બેથ-દિબ્લાથાઈમ, 23કિર્યા-થાઈમ, બેથ-ગામુલ, બેથ-મેઓન, 24કરિયોથ, બોસ્ત્રા તથા મોઆબ દેશમાંના સર્વ નગરો, પછી તે દૂર હોય કે પાસે હોય, એ સર્વને શિક્ષા થઈ છે. 25મોઆબનું શિંગ કાપી નાખવામાં આવ્યું છે, ને તેનો ભુજ ભાંગી નાખવામાં આવ્યો છે, ” એવું યહોવા કહે છે.
મોઆબનો અહંકાર ઉતારાશે
26“તેને ચકચૂર કરો; કેમ કે તેણે યહોવાની વિરુદ્ધ બડાઈ મારી છે; મોઆબ પોતાની ઊલટીમાં આળોટશે, ને તેની હાંસી કરવામાં આવશે. 27તેં ઇઝરાયલની હાંસી કરી નહોતી? શું તે ચોરોમાંથી મળી આવ્યો હતો? કેમ કે જ્યારે જ્યારે તું તેને વિષે બોલે છે, ત્યારે ત્યારે તું ડોકું હલાવે છે.
28અરે મોઆબના રહેવાસીઓ, તમે નગરો છોડીને ખડક પર વસો; અને ખાડાના મોંની બાજુમાં માળો બાંધનાર કબૂતર જેવા થાઓ. 29અમે મોઆબના ગર્વ વિષે સાંભળ્યું છે, તે અતિ ગર્વિષ્ઠ છે. તેનું અભિમાન, ગર્વ, અહંકાર તથા તેના મનની મગરૂરી વિષે અમે સાંભળ્યું છે. 30યહોવા કહે છે, હું તેનો ક્રોધ જાણું છું, તેમાં કંઈ વજન નથી. તેની બડાઈ નકામી છે. 31તેથી હું મોઆબને માટે વિલાપ કરીશ. આખા મોઆબને માટે હું કલાપીટ કરીશ. કીર-હેરેસના માણસોને માટે લોકો શોક કરશે. 32અરે સિબ્માના દ્રક્ષાવેલા, હું તારે માટે યાઝેરના રુદન કરતાં ભારે રુદન કરીશ. તારી ડાળીઓ સમુદ્રને પેલે પાર સુધી ફેલાઈ ગઈ, તેઓ યાઝેરના સમુદ્ર સુધી પહોંચી; ઉનાળાનાં તારાં ફળ પર, તથા તારી દ્રાક્ષાની નીપજ પર વિનાશક આવી પડયો છે. 33ફળદ્રુપ ખેતરમાંથી તથા મોઆબ દેશમાંથી આનંદ તથા હર્ષ લઈ લેવામાં આવ્યો છે. અને દ્રાક્ષાકુંડોમાં મેં દ્રાક્ષારસ [ખૂંદાતો] બંધ પાડયો છે: કોઈ લલકારીને દ્રાક્ષાને ખૂંદશે નહિ. તેઓનો લલકાર લલકાર [ના નામ] ને યોગ્ય થશે નહિ.
34હેશ્બોનથી એલાલે સુધી અને ત્યાંથી યાહાસ સુધી, સોઆરથી હોરોનાયિમ સુધી, અને ત્યાંથી એગ્લથા-શલી-શીયા સુધી તેઓએ પોતાના આક્રંદનો પોકાર સંભળાવ્યો છે; કેમ કે નિમ્રીમનાં પાણી સુકાઈ જશે. 35વળી યહોવા કહે છે કે, મોઆબમાં જેઓ ઉચ્ચસ્થાનમાં બલિદાન આપે છે, ને જેઓ પોતાના દેવોની આગળ ધૂપ બાળે છે, તેઓને હું નષ્ટ કરીશ.
36તેથી મોઆબને માટે મારું હ્રદય શોક કરે છે, ને કીર-હેરેસના માણસોને માટે મારું હ્રદય શોક કરે છે; કારણ કે જે પુષ્કળ ધન તેણે મેળવ્યું હતું, તેનો નાશ થયો છે. 37કેમ કે દરેકનું માથું બોડેલું છે, ને દરેકની દાઢી મૂંડેલી છે. દરેકને હાથે ઘા થયો છે, તથા [દરેકની] કમરે ટાટ [વીંટાળેલું] છે. 38મોઆબનાં સર્વ ધાબાંઓ પર તથા તેના મહોલ્લાઓમાં બધે વિલાપ સંભળાય છે; કેમ કે અપ્રિય પાત્રની જેમ મેં મોઆબને ભાંગી નાખ્યો છે, એવું યહોવા કહે છે. 39તેઓ આક્રંદ કરે છે કે, તેને કેવો ભાંગી નાખવામાં આવ્યો છે! તેણે લજવાઈને કેવી રીતે પોતાની પીઠ ફેરવી છે! આથી પોતાની આસપાસના સર્વ લોકોમાં મોઆબ ઉપહાસ તથા વિસ્મયરૂપ થશે.”
મોઆબ માટે કોઈ બચાવ નહિ
40યહોવા કહે છે, “જુઓ, તે ગરૂડની જેમ ઊડી આવશે, ને મોઆબની સામે પોતાની પાંખો ફેલાવશે, 41કરીઓથને જીતી લેવામાં આવ્યો છે, ને કિલ્લાઓ પર છાપો મારીને તેઓને તાબે કર્યા છે. તે સમયે મોઆબના શૂરવીરોનું હ્રદય પ્રસૂતિ વેદના ભોગવનારી સ્ત્રીના હ્રદય જેવું થશે. 42પ્રજા તરીકે મોઆબ રહેશે નહિ, કેમ કે તેણે યહોવાની વિરુદ્ધ બડાઈ મારી છે. 43યહોવા કહે છે કે, હે મોઆબના રહેવાસી, તારા પર ભય, ખાડો તથા ફાંદો આવી પડયાં છે. 44જે કોઈ ભયથી નાસી જશે તે ખાડામાં પડશે; અને જે કોઈ ખાડામાંથી બહાર નીકળશે તે છટકામાં સપડાશે; કેમ કે હું તેના પર, એટલે મોઆબ પર, તેના શાસનનું વર્ષ લાવીશ, એવું યહોવા કહે છે. 45જેઓ નાઠા તેઓ લાચાર થઈને હેશ્બોનની છાયામાં ઊભા રહે છે; પણ હેશ્બોનમાંથી અગ્નિ તથા સિહોનમાંથી જ્વાળા નીકળીને મોઆબની સીમ તથા ગર્વિષ્ઠોના માથાનું તાલકું ખાઈ ગયાં છે. 46હે મોઆબ, તને અફસોસ! કમોશના લોકો નષ્ટ થયા છે, કેમ કે તારા દીકરાઓને તથા તારી દીકરીઓને બંદીવાસમાં લઈ જવામાં આવ્યાં છે. 47પરંતુ પાછલા દિવસોમાં હું મોઆબનો બંદીવાસ ફેરવી નાખીશ, એવું યહોવા કહે છે. આ પ્રમાણે મોઆબના શાસન વિષેની વાત છે.”
Currently Selected:
યર્મિયા 48: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.