YouVersion Logo
Search Icon

યશા. 9

9
ભાવિ રાજરાજેશ્વર
1પરંતુ જે ભૂમિ પર સંકટ પડ્યુ હતું, તેમાં અંધકાર નહિ રહે.
પ્રથમ તેમણે ઝબુલોન તથા નફતાલીના દેશને
તિરસ્કારપાત્ર બનાવી દીધો હતો,
પણ છેવટે તે સમુદ્રના રસ્તે આવેલા, યર્દનને પેલે પાર, ગાલીલના દેશોને પ્રતિષ્ઠા અપાવશે.
2અંધકારમાં ચાલનારા લોકોએ મહાન પ્રકાશ જોયો છે;
મૃત્યુની છાયાના દેશમાં રહેનારાઓ પર અજવાળું પ્રકાશ્યું છે.
3તેં પ્રજાની વૃદ્ધિ કરી છે અને તેમનો આનંદ વધાર્યો છે;
કાપણીમાં થતાં આનંદ પ્રમાણે તેઓ તમારી સમક્ષ આનંદ કરે છે,
જેમ લોક લૂંટ વહેંચતા આનંદ કરે છે તેમ.
4કેમ કે મિદ્યાનને દિવસે થયું તે પ્રમાણે તેઓ ભારની ઝૂંસરીને, તેઓના ખભા પરની કાઠીને,
તેઓના પર જુલમ કરનારની લાકડીને તેં ભાંગી નાખી છે.
5સૈનિકોના અવાજ કરતા જોડા
અને રક્તમાં બોળેલાં વસ્ત્રો,
તે સર્વને બળતણની જેમ અગ્નિમાં બાળી નાખવામાં આવશે.
6કેમ કે આપણે સારુ છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે;
અને તેના ખભા પર રાજ્યાધિકાર રહેશે;
અને તેને અદ્દભુત સલાહકાર,
પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા
અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે.
7દાઉદના રાજ્યાસન ઉપર અને તેના રાજ્ય ઉપર,
તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી, તે સમયથી તે સર્વકાળ માટે
સ્થાપવા તથા દૃઢ કરવા માટે
તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ.
સૈન્યોના યહોવાહનો ઉત્સાહ આમ કરશે.
પ્રભુ ઇઝરાયલને સજા કરશે
8પ્રભુએ યાકૂબ વિરુદ્ધ સંદેશો મોકલ્યો અને તે ઇઝરાયલ પહોચ્યો છે.
9એફ્રાઇમ અને સમરુનના સર્વ રહેવાસીઓ કે જેઓ ગર્વ અને બડાઈ મારીને કહે છે, તે સર્વ લોકો જાણશે કે,
10“ઈંટો પડી ગઈ છે, પણ હવે આપણે ઘડેલા પથ્થરોથી બાંધીશું; ગુલ્લર ઝાડ કાપી નાખવામાં આવ્યાં છે, પણ આપણે તેને બદલે દેવદાર વૃક્ષ લાવીશું.”
11તેથી યહોવાહે રસીનના શત્રુઓને તેના પર ચઢાવ્યા છે, ને તેના દુશ્મનોને તેની વિરુદ્ધ ઉશ્કેર્યા છે;
12પૂર્વ તરફથી અરામીઓ અને પશ્ચિમથી પલિસ્તીઓ, તેઓ મુખ પહોળું કરીને ઇઝરાયલને ગળી જશે.
એ સર્વ છતાં યહોવાહનો રોષ સમી ગયો નથી, પણ તેમનો હાથ હજી ઉગામેલો જ છે.
13તોપણ લોકો પોતાને મારનારની તરફ ફર્યા નથી, અને સૈન્યોના યહોવાહને તેઓએ શોધ્યા નથી.
14તેથી યહોવાહે ઇઝરાયલનું માથું તથા પૂછડું, ખજૂરીની ડાળી તથા બરુને એક જ દિવસે કાપી નાખશે.
15વડીલ અને સન્માનનીય પુરુષ તે માથું અને અસત્ય શીખવનાર પ્રબોધક તે પૂંછડી છે.
16આ લોકોના આગેવાન એ તેમને અન્ય માર્ગે દોરે છે, અને તેઓને અનુસરનારાને ખાઈ જવામાં આવ્યા છે.
17તેથી પ્રભુ તેમના જુવાનોથી હરખાશે નહિ, તેમ જ અનાથો તથા વિધવાઓ પર દયા રાખશે નહિ,
કેમ કે તેઓ સર્વ અધર્મી અને કુકર્મ કરનારા છે અને દરેક મુખ મૂર્ખાઈની વાતો બોલે છે.
એ સર્વ છતાં પ્રભુનો રોષ સમી ગયો નથી અને તેમનો હાથ હજી ઉગામેલો જ છે.
18દુષ્ટતા આગની જેમ બળે છે; તે કાંટા અને ઝાંખરાંને બાળી નાખે છે;
તે ગીચ જંગલની ઝાડીને પણ બાળી મૂકે છે અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચઢે છે.
19સૈન્યોના યહોવાહના રોષથી દેશ બળી જાય છે અને લોકો અગ્નિનાં બળતણ જેવા થાય છે.
કોઈ માણસ પોતાના ભાઈને છોડતો નથી.
20તેઓ જમણે હાથે માંસ ખૂંચવી લે છે, છતાં પણ ભૂખ્યા રહેશે; તેઓ ડાબે હાથે માંસ ખાશે પણ સંતોષ પામશે નહિ.
તેઓમાંના દરેક પોતાના હાથનું માંસ ખાશે.
21મનાશ્શા એફ્રાઇમને, એફ્રાઇમ મનાશ્શાને ગળી જશે; અને તેઓ બન્ને યહૂદાની સામે થશે.
આ સર્વને લીધે યહોવાહનો રોષ સમી જશે નહિ પણ તેમનો હાથ હજી ઉગામેલો જ રહ્યો છે.

Currently Selected:

યશા. 9: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in