હઝ. 45
45
દેશની ભૂમિમાંથી પ્રભુનો હિસ્સો
1જ્યારે તમે ચિઠ્ઠી નાખીને વારસો વહેંચી લો ત્યારે તમારે યહોવાહને અર્પણ ચઢાવવું; એટલે કે તે દેશનો અમુક ભાગ અર્પણ કરવો. તે ભાગ પચીસ હજાર હાથ લાંબો તથા દસ હજાર હાથ પહોળો હોય. તેની ચારે બાજુનો ભાગ પવિત્ર ગણાય. 2આમાંથી પવિત્રસ્થાનની ચારેબાજુ પાંચસો હાથ લાંબી તથા પાંચસો હાથ પહોળી ચોરસ જગા રાખવી તેની આસપાસ પચાસ હાથ પહોળી જગા રાખવી.
3આ ભાગમાંથી તારે પચીસ હાથ લાંબી અને દશ હાથ પહોળી જગા માપવી તે તારે માટે પવિત્રસ્થાન એટલે પરમપવિત્રસ્થાન થાય. 4તે જમીનનો પવિત્ર ભાગ છે. જેઓ યહોવાહની સેવા કરવા સારુ પાસે આવે છે, તે યાજકોને સારુ રહે. તે જગા તેઓનાં ઘરો માટે તથા પવિત્રસ્થાનને સારુ થાય. 5પચીસ હાથ લાંબી અને દશ હાથ પહોળી જગા, લેવીઓ કે જેઓ સભાસ્થાનની સેવા કરતા લેવીઓ માટે વતનરૂપી થાય.
6“પવિત્ર ભૂમિની પાસે લગોલગ પાંચહજાર હાથ પહોળો અને પચીસહજાર હાથ લાંબો ભાગ નગરને માટે નિયુક્ત કરવો. આ નગર બધા ઇઝરાયલી લોકો માટે છે.
ભૂમીમાંથી સરદારનો ભાગ
7સરદારને માટે પવિત્રસ્થાનની તથા નગરની બન્ને બાજુએ તથા પશ્ચિમ દિશાએ તથા પૂર્વ દિશાએ જમીન હોય. લંબાઈમાં ભાગોમાંના એકની બરાબર, પશ્ચિમ તરફની સીમા પૂર્વ તરફની સીમા સુધી હોય.
8સરદારને આ જમીન ઇઝરાયલમાં સંપત્તિ તરીકે મળે, મારા સરદારો ફરી કદી મારા લોકો પર જુલમ કરે નહિ; પણ, તેઓ ઇઝરાયલી લોકોને, તેઓનાં કુળ પ્રમાણે જમીન આપે.’”
સરદાર માટે નિયમો
9પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘હે ઇઝરાયલના સરદારો, ‘આટલું બસ કરો, હિંસા તથા ઝઘડો દૂર કરો; યથાર્થ ઇનસાફ કરો! મારા લોકો પરથી તમારો જુલમ બંધ કરો.’ આમ પ્રભુ યહોવાહ કહે છે. 10‘તમારે સાચાં ત્રાજવાં, સાચો એફાહ, સાચા બાથ રાખવા. 11એફાહ તથા બાથ એક જ માપના હોવા જોઈએ. બાથમાં હોમેરનો દસમો ભાગ હોય, એફાહમાં હોમેરનો દસમો ભાગ હોય. તેનું માપ હોમેરના ભાગ જેટલું હોય. 12એક શેકેલ વીસ ગેરાહનો હોય; માનેહ સાઠ શેકેલનો હોવો જોઈએ. તમારો માનેહ વીસ શેકેલ, પચીસ તથા પચાસ શેકેલનો હોવો જોઈએ.
13તમારે નીચે દર્શાવ્યા પ્રમાણે અર્પણ કરવું: દરેક હોમેર ઘઉંમાંથી એફાહનો છઠ્ઠો ભાગ, દરેક હોમેર જવમાંથી છઠ્ઠો ભાગ તમારે આપવો. 14તેલનો નીમેલો ભાગ આ પ્રમાણે એટલે દરેક કોર માટે, દરેક હોમેર માટે તથા દર હોમેર એક દશાંશ બાથ તેલનો હોવો જોઈએ, કેમ કે દશ બાથનો એક હોમેર થાય છે. 15ઇઝરાયલના પાણીવાળા પ્રદેશમાંનાં બસો ટોળાંમાંથી એક ઘેટું કે બકરો ખાદ્યાર્પણ તરીકે, દહનીયાર્પણ તરીકે અને શાંત્યર્પણ તરીકે લોકોને શુદ્ધ કરવા માટે આપવું. આમ પ્રભુ યહોવાહ કહે છે.
16દેશના બધા લોકોએ ઇઝરાયલના સરદારને આ હિસ્સો આપવો. 17પર્વોમાં, ચંદ્રદર્શનોમાં તથા વિશ્રામવારોમાં, ઇઝરાયલી લોકોના ખાસ તહેવારોમાં દહનીયાર્પણો, ખાદ્યાર્પણો તથા પેયાર્પણો આપવાં એ સરદારોની જવાબદારી છે. તે ઇઝરાયલી લોકોનાં શુદ્ધિકરણ માટે પાપાર્થાર્પણો, ખાદ્યાર્પણો, દહનીયાર્પણ તથા શાંત્યર્પણો પૂરા પાડશે.’”
પર્વો
નિર્ગ. 12:1-20; લેવી 23:33-43
18પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘પહેલા મહિનાના પહેલા દિવસે તમારે ખોડખાંપણ વગરનો એક વાછરડો લેવો અને પવિત્રસ્થાનને માટે પાપાર્થાર્પણ ચઢાવવું. 19યાજક પાપાર્થાર્પણનું કેટલુંક રક્ત લઈને તે સભાસ્થાનની બારસાખ પર, વેદીના ચાર ખૂણા પર તથા અંદરના આંગણાના દરવાજે લગાડે. 20દરેક વ્યક્તિએ અજાણતાંથી તથા અજ્ઞાનતાથી પાપ કર્યું હોય તો તેણે તે મહિનાના સાતમા દિવસે પણ આ પ્રમાણે કરવું. સભાસ્થાન માટે આ રીતે તમારે શુદ્ધ કરવું.
21પહેલા મહિનાના ચૌદમા દિવસે તમારે પાસ્ખાપર્વ પાળવું. સાત દિવસ સુધી પાસ્ખાપર્વ પાળવું. તારે બેખમીર રોટલી ખાવી. 22તે દિવસે સરદારે પોતાના તથા ઇઝરાયલી લોકોના પાપને માટે એક બળદને પાપાર્થાર્પણ તરીકે તૈયાર કરવો.
23એ પર્વના સાત દિવસ સરદાર યહોવાહ માટે દહનીયાર્પણ તૈયાર કરે સાત દિવસ ખોડખાંપણ વગરના સાત બળદો તથા ખોડખાંપણ વગરના સાત ઘેટાને, પાપાર્થાર્પણ તરીકે દરરોજ એક બકરાને રજૂ કરે. 24સરદાર દરેક બળદ એક એફાહ તથા ઘેટા માટે એક એફાહ, દરેક એફાહ એક હિન તેલ ખાદ્યાર્પણ તરીકે રજૂ કરે.
25સાતમા મહિનાના પંદરમા દિવસે, સરદાર પર્વમાં સાત દિવસ એ જ પ્રમાણે કરે; એટલે પાપાર્થાર્પણ, દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા તેલનાં અર્પણ ચઢાવવાં.’”
Currently Selected:
હઝ. 45: IRVGuj
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.